ઇન્ડિયન એસોસિયેશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (IAOH)ની અંકલેશ્વર-ભરૂચ શાખા દ્વારા આયોજિત રાજ્યસ્તરીય પરિષદ GUJCON 2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 6 જૂનના રોજ ભરૂચ સ્થિત રીજેન્ટા હોટલ ખાતે યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ અને તબીબોએ કાર્યસ્થળ પર કામદારોના આરોગ્ય, સલામતી અને સુખાકારી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી.

પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. ભાવેશ મોદી (ડિરેક્ટર, ICMR-NIOH), ડૉ. આર. રાજેશ (ગ્રુપ મેડિકલ હેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), ડૉ. હિતેશ સિંઘલ (રાષ્ટ્રીય પ્રમુખ, IAOH), ડૉ. કિશોર પરીખ (રાષ્ટ્રીય સચિવ, IAOH), ડૉ. સુનિલ ભટ્ટ (ક્લસ્ટર હેડ-એચઆર, GFL), ડૉ. સુષ્મા પટેલ (હેડ મેડિકલ સર્વિસીસ, GNFC), ડૉ. યુવરાજ પ્રિયદર્શી (CEO, વોર્ડવિઝાર્ડ હોસ્પિટલ), ડૉ. કેતન પટેલ (વાઇસ પ્રેસિડેન્ટ, IAOH અંકલેશ્વર-ભરૂચ શાખા) તથા ડૉ. મેહુલ રહેવર (આયોજન સચિવ, GUJCON 2026) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિષદના સફળ આયોજનમાં અનેક વરિષ્ઠ ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતોએ આયોજન સમિતિના સભ્ય તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. GUJCON 2026 ઔદ્યોગિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માટે જ્ઞાનના આદાન-પ્રદાન, નવી પડકારજનક પરિસ્થિતિઓ પર ચર્ચા તથા કાર્યસ્થળ આરોગ્ય વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યું છે

પરિષદ દરમિયાન યોજાનારા વૈજ્ઞાનિક સત્રો, નિષ્ણાત પ્રવચનો અને ચર્ચા ગોષ્ઠિઓમાં વ્યવસાયિક આરોગ્ય ક્ષેત્રના અગ્રણી તબીબો તથા ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. 7 જૂન સુધી ચાલનારી આ પરિષદમાં રાજ્યભરમાંથી આવેલા ડોકટરો અને આરોગ્ય ક્ષેત્રના હિતધારકો સક્રિય સહભાગી બની રહ્યા છે.
GUJCON 2026 ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુ સ્વસ્થ, સલામત અને ઉત્પાદક કાર્યસ્થળોના નિર્માણ માટે ઔદ્યોગિક તબીબી સમુદાયની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને રાજ્યના ટકાઉ ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
દહેજમાં એક અદ્યત્તન હોસ્પિટલ બનાવવાની દિશામાં કામ ચાલુ છે – સુનિલ ભટ્ટ

આ કાર્યક્રમમાં દહેજ એક મોટુ ઓદ્યોગીક હબ હોવા છતાં અહીં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ન હોવા અંગે દહેજ ઈન્ડસ્ટ્રીય એસોસિએશનનાં પ્રમુખ અને GFLનાં ક્લસ્ટર હેડ સુનિલ ભટ્ટે વ્યથા અને ચિંતા વ્યકત કરી હતી. સાથે તેમણે એ પણ કહ્યુ હતું કે, અમે ઓછામાં ઓછી 100 બેડની અદ્યત્તન હોસ્પિટલ બનાવવાની દિશામાં મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે. ટુંકા ગાળામાં આ સપનુ સાકાર થશે. આ હોસ્પિટલમાં સહચોગ આપવા માટે સુનિલ ભટ્ટે તબીબોને અપીલ કરી હતી. સાથે આ પ્રકારની નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સ ભરૂચમાં યોજાય તો ઈન્ડસ્ટ્રીઝ તમામ રીતે સહયોગ આપવા તત્પર હોવાની ખાતરી આપી હતી.

