
વલસાડ જિલ્લાના 32 હજારથી વધુ વસ્તી ધરાવતા સોળસુબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મુક્તિધામની હાલત હાલમાં ભારે ચિંતાજનક બની છે. તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને ભારે પવનસાથે પડેલા વરસાદને કારણે મુક્તિધામના શેડને ગંભીર નુકસાન થયું છે. જેના કારણે આગામી ચોમાસામાં અંતિમવિધિ માટે આવતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થવાની સંપૂર્ણ શક્યતા છે.

હાલના સમયમાં મુક્તિધામની દયનીય પરિસ્થિતિ અને અન્ય આધારીક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. એક સમય હતો જ્યારે અહીં ગાર્ડન સહિતની સુવિધાઓ વિકાસ પામીને રાજ્યમાં આદર્શ તરીકે સ્થાન પામતી હતી. પરંતુ આજની પરિસ્થિતિ એ પ્રગતિથી સંપૂર્ણ વિપરીત છે.

જાહેર હિતને ધ્યાનમાં રાખી, ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ ઇન્ચાર્જ ટીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ઓવર હેડ શેડ, સગડી, બેઠકો જેવી જરૂરી સુવિધાઓ ચોમાસા પહેલાં ઉપલબ્ધ કરાવાની માંગ સાથે રજૂઆત કરાઈ છે.
હવે લોકોની સ્પષ્ટ માંગણી છે કે તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવેદનશીલતા દાખવી તાત્કાલિક પગલાં લે અને સોળસુબા મુક્તિધામ ખાતે સ્થિતિ સુધારવા માટે પરિણામલક્ષી કામગીરી કરે જેથી ચોમાસા દરમિયાન લોકો દુઃખની ઘડીમાં વધુ તકલીફનો સામનો ન કરે.
વલસાડ થી આલમ શેખ..